લોકસભામાં રાહુલે બતાવ્યો શંકર ભગવાનનો ફોટો: મહાપુરુષોનો સંદર્ભ ટાંકીને કહ્યું- ડરો મત, ડરાઓ મત, સ્પીકરે બતાવી નિયમ પુસ્તિકા...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_095237_Rahul Gandhi.webp)
- 01 Jul, 2024
સંસદ સત્ર દરમિયાન સોમવારનો દિવસ હોબાળા વાળો રહ્યો હતો. બપોરના સમયે જેવું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કર્યું કે હોબાળાની શરૂઆત થઈ ગઈ. રાહુલ ગાંધીએ સ્પીચ આપતી વખતે ભંગવાન શંકરની તસ્વીર બતાવી હતી. આ દરમિયાન સ્પીકરે તેમને નિયમનું પુસ્તક બતાવ્યું હતું. રાહુલે કહ્યું કે આજે હું મારા ભાષણની શરૂઆત પોતાના બીજેપી અને આરએસએસના મિત્રોને અમારા આઈડિયા વિશે જણાવવાથી કરી રહ્યો છું, જેનો ઉપયોગ આપણે બંધારણની રક્ષા કરવા માટે કરીએ છીએ.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે હું બાયોલોજિકલ છું. પરંતુ વડાપ્રધાન બાયોલોજિકલ નથી. રાહુલ ગાંધી જ્યારે પોતાની સ્પીચ આપી રહ્યાં હતા, ત્યારે સ્પીકરે તમને કોઈ વાત પર તેમને ટોક્યાં હતા. તેની પર રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ શિવજીનો ફોટો બતાવ્યો અને તમે ગુસ્સે થઈ ગયા.
રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું કે હિન્દુસ્તાનીએ ક્યારેય કોઈની પણ ઉપર હુમલો કર્યો નથી. એનું કારણ એ છે કે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે. તે ડરતો નથી, આપણા મહાપુરુષોએ એવો સંદેશ આપ્યો- ડરો મત, ડરાઓ મત. શિવજી કહે છે- ડરો મત, ડરાઓ મત અને પછી ત્રિશૂલને જમીનમાં નાંખી દે છે. બીજી તરફ જે લોકો તમને હિન્દુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા-હિંસા અને નફરત-નફરત-નફરત કરે છે. તમે હિન્દુ છો જ નહીં. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે, સત્યનો સાથ આપવો જોઈએ.
પ્રથમ સપ્તાહમાં પણ વિપક્ષે નીટ પેપર લીક વિવાદ અંગે સરકારની ટીકા કરી હતી. વિપક્ષ હજુ પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરાવવા માગે છે. આજે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચાથી થઈ હતી. ભાજપના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુરે આ ચર્ચાની શરૂઆત કરી હતી. ભાજપના સ્વર્ગસ્થ નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત સાંસદ બનેલા બાંસુરી સ્વરાજે પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો. લોકસભામાં આ ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે. જે મંગળવારે વડાપ્રધાન મોદીના જવાબ સાથે સમાપ્ત થશે. જ્યારે રાજ્યસભામાં ચર્ચા માટે 21 કલાક ફાળવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન બુધવારે સામેલ થઇ શકે છે.
18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થવા જઇ રહી છે. એ પહેલા જ સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસદમાં નીટ પેપર લીક વિવાદ, અગ્નિપથ યોજના, બેકારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે.